ટૅગ્સ
ક્ષિતિમોહન સેન, ગ્રંથભંડાર, ગ્રંથાગાર, ગ્રંથાલય, જ્યોર્જ વ્હીટમેન, તળાવડીને આરે, નાનકભાઈ મેઘાણી, નિરંજન ભગત, પરિમાણ પ્રકાશન, પુસ્તકાલય, બોર્નીયા'ની જંગલોની બાળલોકકથાઓ, મકરંદ દવે, મહેન્દ્રભાઈ મેઘાણી, શેકસપિયર એન્ડ કંપની, સંજય શ્રીપાદ ભાવે, સ્વધ્યાયલોક, સ્વામી આનંદ, Granthagaar, Nanakbhai Meghani, Sanjay Shripad Bhave
1] સૌપ્રથમ તો થોડીક અજ્ઞાન’ની કબુલાત . . . ગ્રંથાગાર જેવું કોઈ સ્થળ અને નાનકભાઈ જેવા કોઈ સજ્જન હતા , તે વિષે હું અનહદ અજાણ હતો અને જયારે જાણ પણ થઇ , તે કેવા પ્રસંગે !!!
2] જિંદગીભર એ અફસોસ રહેવાનો કે આવા કોઈ પુસ્તક’તીર્થ અને નાનકભાઈ જેવા સંત વ્યક્તિના દર્શન વિના જ અધૂરું રહી જવાયું . પુસ્તકો’નું એ જગત કેવું રહ્યું હશે અને આંગળી ચિંધ્યા માત્ર’નો સંતોષ લેતા એ ઓલિયા વ્યક્તિનું સ્મિત કેવું રહ્યું હશે !?
3] નવનીત સમર્પણ’માં આ લેખ નહિ નહિ ને ચાર’થી પાંચ વાર વાંચ્યો અને બ્લોગ પર વહેંચવાની બળકટ ઈચ્છા ઉદભવી , પણ થોડા સંકોચ અને ઝાઝી બધી વિસ્મૃતિ’ને કારણે આટલા મહિનાઓ વીતી ગયા [ સપ્ટેમ્બર , 2014 ] પણ ત્યારબાદ જયારે કેટલીક બુક્સ ગોઠવતો હતો ત્યારે ફરીથી આ લેખ વાંચવામાં આવ્યો અને ફરી એ જ આશ્ચર્ય’થી આખો લેખ એક બેઠકે વંચાઈ ગયો ! અને ત્યારબાદ થોડી જ વારમાં આ લેખ’નાં લેખક શ્રી સંજય શ્રીપાદ ભાવે‘ની મંજુરી માંગતો ઈમેઈલ પણ લખાઈ ગયો અને વળતા દિવસે જ તેમની મંજુરી પણ મળી ગઈ [ સંજયભાઈ’નો આવા સુંદર લેખ દ્વારા અદભુત એવા નાનકભાઈ અને તેમની પ્રવૃત્તિ વિષે પરિચય કરાવવા બદલ ખુબ ખુબ આભાર . ]
સાભાર નોંધ : પ્રસ્તુત લેખ નવનીત સમર્પણ’નાં સપ્ટેમ્બર 2014’નાં અંકમાંથી કોઈ પણ પ્રકારના ફેરફાર વિના લેખક’શ્રી સંજય શ્રીપાદ ભાવે’ની મંજુરીથી લેવાયો છે .
નોંધ : આખરી ક્ષણો સુધી નાનકભાઈ અને ગ્રંથાગાર’નાં કોઈ ફોટોઝ મળી શક્યા નથી , માટે મારા બ્લોગીંગ’ના ઈતિહાસમાં પહેલી વાર કોઈ પોસ્ટ કે શેરીંગ ચિત્રો વગર પબ્લીશ થઇ રહી છે . પાછળ’થી જો સંબંધિત જગ્યાએથી પરવાનગી મળશે તો ચિત્રો ઉમેરીશ .
UPDATE [ 14/08/2015 ] : પોસ્ટ પબ્લિશ થઇ ગયા બાદ પણ ખાંખાખોળા’નાં પ્રતાપે ડો.અશ્વિનભાઈ’નાં જ બ્લોગ પરથી નાનકભાઈ’ની તસ્વીરો મળી શકી કે જે તેમની પરવાનગી’થી પોસ્ટ’માં ઉમેરીને અપડેટ કરું છું . જે તે તસ્વીર પર ક્લિક કરવાથી અશ્વિનભાઈ’ની મૂળ પોસ્ટ પર પહોંચાશે . ડો.અશ્વિનભાઈ’નો ખુબ જ આભાર 🙂
અમદાવાદમાં ‘ ગ્રંથાગાર ‘ નામનો પુસ્તકભંડાર છત્રીસ વર્ષ પુણ્યના વેપાર તરીકે ચલાવનારા ગ્રંથજ્ઞ નાનક ઝવેરચંદ મેઘાણી‘નું 20મી જુલાઈ’એ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને 82 વર્ષની વયે અવસાન થયું . નાનકભાઈ પ્રબુદ્ધ અને પ્રેમાળ , વ્યાસંગી અને વિરાગી ગ્રંથવિક્રેતા હતા . તેમના પિતાએ ‘ કલમ અને કિતાબ ‘માં પુસ્તકભંડારની મહત્તા બતાવતી એક નોંધમાં લખ્યું છે : ” બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે . ” નાનકભાઈની ચિરવિદાયનાં બરાબર અગિયાર મહિના અને વીસ દિવસ પૂર્વે વિરામ લેનાર ‘ગ્રંથાગાર’ વાંચનપ્રેમીઓના ઉદ્યાન સમો હતો . તેને પુસ્તકોની દુકાન કહેતા જીવ ચાલતો નહોતો . તે પુસ્તકભંડાર હતો , પુસ્તકસ્થાનક હતું . તેના બીલ પર છાપેલું સૂત્ર હતું – ‘ અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું . ‘
ગ્રંથાગાર તેના છેલ્લા સાતેક વર્ષ આશ્રમ માર્ગ પર ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં હતો . એ તેની ચોથી જગ્યા હતી . અનેક પુસ્તકપ્રેમીઓના મનમાં જે ‘ ગ્રંથાગાર ‘ છે તે અત્યારના સી.જી.રોડ પર નવરંગપુરા માર્કેટની સામેની બાજુના ચાર રસ્તાના ખૂણે આવેલા એક બંગલામાં 1977થી દોઢ દાયકા સુધી સવારે આઠથી રાત્રે આઠ સુધી ચાલુ રહેતો પુસ્તકભંડાર . તેના પહેલા દોઢ દાયકો નાનકભાઈએ રાજકોટમાં ‘ સાહિત્યમિલાપ ‘ નામે પુસ્તકોની દુકાન ચલાવી . વર્ષો ગયા , સ્થળો બદલાયા , શહેરનો મિજાજ બદલાયો , મિલકતના ભાવ વધ્યા . વ્યવસાયના ધંધા પણ વધ્યા – પણ ગ્રંથાગારનું સત્વ અક્ષુણ્ણ રહ્યું . આ પુસ્તકભંડાર’નો વિચાર કરતા મહાન ચિતારા વિન્સેન્ટ વાન ઘોગ’નાં શબ્દો યાદ આવે : I think i still have in my heart someday to paint a bookshop with the front yellow and pink in the evening , like a light in the midst of darkness ”
‘ ગ્રંથાગાર ‘ લોકપ્રિય , લલિત કે કેવળ પ્રચલિત પુસ્તકો ઓછા પસંદ કરતો . સાહિત્ય પરિષદના વર્ષોમાં લલિત પુસ્તકો આવતા થયા , પણ અગ્રતાક્રમે તો અર્થશાસ્ત્ર , તત્વજ્ઞાન , ભાષાવિજ્ઞાન , સમાજવિદ્યા , સાહિત્યશાસ્ત્ર જેવા વિષયો પરના આકરગ્રંથો , સંશોધનપુસ્તકો અને સંદર્ભગ્રંથો જ રહ્યા . સી.જી.રોડ પરના સુવર્ણકાળમાં અમદાવાદમાં સમૃદ્ધ ગ્રંથાલયો ધરાવતી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને શ્રી હરીવલ્લભદસ અને કાળીદાસ આર્ટસ કોલેજ સહીત સંખ્યાબંધ કોલેજો સાથે નાનકભાઈને ગ્રંથવ્યવહાર હતો . અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ એસોસિયેશન , ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ , ઈસરો , નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન , પી.આર.એલ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓને પુસ્તકો પુરા પાડનારામાં નાનકભાઈ પણ હતા .
‘ ગ્રંથાગાર ‘માં વાંચકને ઠીક આરામથી બેસવાની વ્યવસ્થા મળતી . અહી આવનાર વ્યક્તિ ગ્રાહક ઓછા અને વાંચક વધુ રહેતા . તે ગમે તેટલા કલાક બેસીને પુસ્તકો જોઈ શકતા , ઉથલાવી શકતા , વાંચી શકતા , નોંધો કરી શકતા . ગ્રાહક પુસ્તક ખરીદવાને બદલે તેનો આ રીતે ઉપયોગ કરે તેમાં નાનકભાઈને વધુ ઉપલબ્ધી જણાતી . નાનકભાઈ અને તેમના ‘ દીકરી કે નાની બહેન જેવા ‘ સાથી હંસાબહેન પટેલ વાંચકોને લગભગ થનગનાટથી પુસ્તકો બતાવતા . પહેલી વખત જનાર વ્યક્તિને પણ ઘણી વાર કાઠીયાવાડી મહેમાનીની ઝલક મળતી . હંમેશના મુલાકાતીને પરોણાગત હંમેશા માણવા મળતી . તેમાં ચા , ચવાણું , ચીકી , હંસાબહેને શોધેલા જાતભાતના બિસ્કીટ , ઉનાળામાં શરબત કે આઈસક્રીમ ( લાંબો સમય બેસનારને બંને ) મળતા .
વાંચકો ગ્રંથાલયમાં આવતા હોય તેમ ગ્રંથાગાર’માં આવે . આટલા બધા સમય-સગવડ-સરભરા ગ્રંથાગારે બે-ત્રણ વાર પુરા પાડ્યા પછી વાંચક પુસ્તક ખરીદવાને બદલે ત્યાં જ વાંચીને પૂરું કરવાનું પસંદ કરે ! એમ ન થાય તોય ઘણું કરીને ખરીદે નહિ . તે વાંચવા માટે ઘરે લઇ જાય . નાનકભાઈ કોઈ નોંધ કે ચિઠ્ઠી વિના તે આપે . ગ્રાહક-વાચક ખરીદે તો ખરીદે , પૈસા હપ્તાવારેય ચુકવે . નાનકભાઈ પુસ્તકો બતાવવા , વાંચવા આપવામાં અને દુર્લભ પુસ્તકો મગાવી આપવામાં જેટલા અધીરા હોય એના કરતા પૈસા લેવામાં વધારે ઉદાસીન હોય . પોતાના નહિ પણ સંસ્થાના ખરચે પુસ્તક-શોખ પુરા કરનારા કેટલાક ઘરાકો ફટાફટ ત્રીસ-ચાલીસ પુસ્તકોનો ઢગલો નાનકભાઈના ટેબલ પર ખડકીને સંસ્થામાં મોકલી દેવાનું કહીને ચાલ્યા જાય . પછી એપ્રુવલ મેમો , ડીલીવરી , ચેક ઉઘરાણી બધું ગ્રંથાગારનાં બે પૈડા સમાં હંસાબહેન અને સુરેશભાઈ ગાયકવાડ કરે . હંસાબહેન વિના ગ્રંથાગાર’ની કલ્પના ન થઇ શકે . વ્યવસાય-કુશળતા અને સ્નેહનું કંઈક અદભુત મિશ્રણ એમનામાં હતું . તેમના વિના ‘ ગ્રંથાગાર ‘ ગ્રંથાલય બની જાત અને ટૂંકા ગાળામાં અટકી જાત . નવા પુસ્તકો બતાવવાનો નાનકભાઈ અને હંસાબહેનનો હરખ સરખો , ફેર માત્ર વ્યવહારભાનનો જ . હંસાબહેન પુસ્તકોની ભાળ પણ રાખે અને ગ્રાહકની પસંદગી પણ જાણે . ‘ ગ્રંથાગાર ‘નું એક ભુલાયેલું પાત્ર તે ગાયકવાડભાઈ . આ સેવકે શહેર આખામાં સાઈકલ પર ફરીને ‘ ગ્રંથાગાર ‘નાં પુસ્તકોની આપ-લેનાં , પોસ્ટ અને પાર્સલના , કેટલાક વાંચકોને પુસ્તકો ઘરે પહોંચાડવાના કામ વર્ષો લગી મૂંગે મોઢે મન દઈને કર્યા .
લગભગ બધાની સાથે ગ્રંથાગાર’નો વ્યવહાર લગભગ બધી વખત એવી રીતે ચાલે કે જાણે નાનકભાઈએ ધંધો નહિ પણ ધર્માંદું કરવા દુકાન કરી હોય ! નાનકભાઈનાં આ પુણ્યના વેપારમાં , ન માનવામાં આવે તેવા કિસ્સા , તેનાં ગ્રાહકો ( ખરું કહેતા તો વાંચકો ) પાસેથી જાણવા મળે છે . ગુજરાતીના જાણીતા વિવેચક-અધ્યાપક અજય રાવલ એક હૃદયસ્પર્શી સંભારણું વર્ણવે છે : ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં કોમી રમખાણો થયા ત્યારે અજય સંતરામપુરની કોલેજમાં હતા . તેમનું ઘર તેમની ગેરહાજરી દરમ્યાન સળગાવી દેવામાં આવ્યું . ઘરમાં હજારથી વધુ પુસ્તકો હતા . સમય જતા એમણે એ પુસ્તકો ફરીથી વસાવવાની શરૂઆત કરી . એક દિવસ મિત્ર સાથે અમદાવાદ આવીને ગુજરાત યુનીવર્સીટી પાસેના એક બંગલામાં પહેલા માળે આવેલા ‘ ગ્રંથાગાર ‘માંથી પુસ્તકો ખરીદ્યા , પૈસા ચૂકવ્યા અને પુસ્તકભંડાર’નો દાદરો ઉતરીને નીચે પહોંચ્યા . એટલામાં નાનકભાઈને અજયના મિત્ર થકી સંતરામપુરની ખબર પડી , તરત જ નાનકભાઈ નીચે દોડ્યા અને અજયને બધા પૈસા પાછા આપી દીધા ! નાટ્યવિદ હસમુખ બારાડી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે ભણતા , પુસ્તકો ખરીદવા પરવડતા નહિ . એટલે નાનકભાઈની રાજકોટની દુકાનમાં જઈને કલાકો વાંચ્યા કરે . થોડા દિવસ પછી નાનકભાઈ તેમને અંગ્રેજી સાહિત્યના નવાનકોર પુસ્તકો ઘરે લઈ જવા આપવા લાગ્યા .
પત્રકાર હર્ષવદન ત્રિવેદી તો નાનકભાઈનાં ટીફીનમાંથી જમી જતા . એમ.એસ.યુનીવર્સીટીના ભાષાવિજ્ઞાની બાબુ સુથાર તેમના મિત્ર . આ બંને તત્વજ્ઞાનનાં દુર્લભ પુસ્તકો તેમની સંસ્થાના ધિરાણ મંડળીઓમાંથી પૈસા લઈને ખરીદતા . એક વખત તેમણે ઘણી મોટી રકમના પુસ્તકો ખરીદીને તરત જ તેના પૈસા નાનકભાઈ સામે ધર્યા . હર્ષવદન યાદ કરે છે : ‘ નાનકભાઈ લગભગ ગળગળા થઇ ગયા . એ કહે એટલા બધા પૈસા તમારી પાસેથી હું એકસામટા લઇ જ ન શકું . કટકે કટકે આપજો . ‘ બહોળો વાચકવર્ગ ધરાવતા કટારલેખક જય વસાવડા સાથે રાજકોટથી ફોન પર વાત કરી : નાનકભાઈ અને કુસુમબેન મારી સામે દુકાન છુટ્ટી મૂકી દેતા . નાસ્તાનો કોન પણ મંગાવતા . આપણા ઘરમાં બેઠાબેઠા વાંચતા હોઈએ તેવું લાગે . આ ઉપરાંત જોઈએ એટલા પુસ્તકો ઘરે લઇ જવા માટે પણ આપતા . ‘
આઉટલુક સાપ્તાહિક’નાં સીનીયર અસોસીયેટ એડિટર એસ.બી.ઇશ્વરન ઈ-મેઈલમાં લખે છે : ‘ ગ્રંથાગારમાંથી મેં ખરીદેલું પહેલું પુસ્તક એટલે નોર્ટન એન્થોલોજી ઓફ પોએટ્રી ‘ . મેં એ પુસ્તકની જરૂર અંગે હર્ષવદનને જણાવેલું . એટલે તેણે નાનકભાઈ સાથે ફોન પર ટૂંકી વાત કરી . કલાકમાં તો ‘ ઇન્ડીયન એક્સપ્રેસ ‘ની મારી એ વખતની ઓફિસમાં પુસ્તક આવી ગયું . એ પુસ્તકના પૈસા આપવા હું ગ્રંથાગાર ગયો એ મારી પહેલી મુલાકાત હતી . તે પછી હંમેશા જવાનો ક્રમ થઇ ગયો . નાનકભાઈના દીકરી અને અમેરિકાના ઓહાયોમાં આવેલી એક હોસ્પિટલમાં જીરેન્ટોલોજી વિભાગના વડા તબીબ શેણીબહેન લખે છે : ‘ પુસ્તકો તેમજ વાંચન માટેનો મારો પ્રેમ , અને પુસ્તકોનો મહિમા એ મારા બાપુ પાસેથી મળેલી સહુથી મોટી દેણ અને સહુથી મોટો વારસો છે . બાપુની દુકાન એ મારું બીજું ઘર હતું અને ત્યાં પુસ્તકો વાંચવા કે પુસ્તકો વિશેની વાતો સાંભળતા વીતેલા કલાકોના કલાકો મારા બાળપણના સહુથી સુખદ સંભારણા છે .
ગ્રંથાગાર’માં વિદેશી પ્રકાશકોનાં કેટલોગ અને કસાટા આઈસક્રીમ’નો આનંદ માણી ચુકેલા અને દિલ્હીના ‘ ગવર્નન્સ ટુડે ‘ પખવાડીકનાં એક્ઝીક્યુટીવ એડિટર આશિષ મહેતા દિલ્હીથી ઈ-મેઈલમાં લખે છે : એક વાર મે એક રસપ્રદ પુસ્તક જોયું , પણ એ મને પોસાય તેવું ન હતું . મારી દુવિધા પામીને નાનકભાઈએ તરત કહ્યું , ‘ તમે એકાદ અઠવાડિયા માટે લઇ જાઓ , વાંચીને પાછું આપજો . ‘ આશિષ આગળ લખે છે : ‘ આમ તો બુકસેલર આવું કહે એ તો હું ધારુંય નહિ . પણ નાનકભાઈની વાત કરતા આ ઘટના અચૂક યાદ આવે . નાનકભાઈ એ વખતે મારી સામે મલકાયા અને ખુલાસો આપતા કહ્યું , ‘ અમે અમારી રોજીરોટીનું ધ્યાન તો રાખ્યું જ છે ‘ એમનો મતલબ એ હતો કે આ માત્ર ધંધો નથી . હું દિલ્હી અને અમદાવાદમાં પુસ્તકોની ઘણી દુકાનોમાં જાઉં છું . પણ ગ્રંથાગાર મને ક્યારેય પુસ્તકોની દુકાન લાગતી નથી અને નાનકભાઈ દુકાનવાળા લાગતા નથી . એની પાછળનું કારણ એ કે નાનકભાઈ નોખા છે . તે પુસ્તકોને ચાહે છે . તેમના માટે એમના અને તમારા પુસ્તકપ્રેમ કરતા નફો વધારે મહત્વનો નથી . ‘
શેણીબહેન લખે છે , ‘ બાપુ કહે છે કે એ પુસ્તકપ્રેમી અને પુસ્તકપ્રસારક છે . મને લાગે છે કે એ ગ્રંથવિક્રેતા કરતા વિદ્યાવ્યાસંગી – ‘ એકેડેમીશિયન ‘ વધારે છે અને એમણે પૈસો તો ક્યારેય બનાવ્યો જ નથી ! ‘ ગ્રંથાગારનાં અનેક લાભાર્થીઓ મહેન્દ્રભાઈની જેમ સારા પુસ્તકો મોટા વાંચકવર્ગ સુધી પહોંચાડવાનો ભેખ લઈને બેઠા છે . જોકે આ બે પુસ્તકપ્રસારકો વચ્ચેનો ભેદ પુસ્તક સંગ્રાહક અને ગુજરાત સરકારના એક વિભાગના નાયબ સચિવ તરીકે તાજેતરમાં નિવૃત થયેલા લાલુભા ચૌહાણ બતાવે છે : ‘ મહેન્દ્રભાઈ આદર્શવાદી અને વ્યવહારુ બંને છે . નાનકભાઈ નર્યા આદર્શવાદી છે . તેમનામાં પૈસા ભેગા નહિ કરવાની વૈરાગ્યવૃતિ છે . તે સમાજ પાસેથી થોડું લઈને ઘણું આપનારા માણસોમાંનાં છે . ‘
ગુજરાત યુનીવર્સીટીનાં રાજ્યશાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યાપક યોગેન્દ્ર માંકડનાં શબ્દો છે : ‘ પુસ્તકો એમ ને એમ વાંચવા આપવા , પૈસા ન માંગવા , યાદ ન કરાવવું , આવું બધું પુસ્તકવિક્રેતા’માં ભાગ્યે જ હોય ! ‘ નાનકભાઈનાં શાળા-કોલેજના મિત્ર અને અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજના શરીરશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા બચુભાઈ કુલકર્ણી કહે છે કે ‘ નાનક પુસ્તકભંડાર ધંધા તરીકે નહિ પણ હોબી ‘ તરીકે ચલાવે છે . દિલ્હી યુનીવર્સીટી’નાં ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ભારતીબહેન ઝવેરી’એ ફોન પર કહેલા શબ્દો છે : ‘ નાનકભાઈને સેલ્સમેન થતા , આર્થિક લાભ જોતા આવડ્યું જ નહિ દુર્લભ અને મુલ્યવાન પુસ્તકો વેંચાવાના હોય કે ન વેંચાવાના હોય , પણ નાનકભાઈ એની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે . ‘ એલ.ડી.સ્કુલ ઓફ ઇન્ડોલોજી’માં તત્વજ્ઞાન’નાં માનદ અધ્યાપક પ્રશાંત દવે કહે છે : નાનકભાઈ સારા પુસ્તકો વેંચવા કરતા વંચાવવા માટે પુસ્તકભંડાર ચલાવે છે . એમનું ગાડું કેવી રીતે ચાલે છે એ એક કોયડો છે . ‘ ઉત્તમ સંપાદક , પ્રકાશક , વાચક અને ભાવનગરમાં ‘ પ્રસાર ‘ નામની પુસ્તકોની સુંદર દુકાન ચલાવતા જયંત મેઘાણી તેમના મોટા ભાઈમાં પુરેપુરી શ્રધ્ધા અને વિશ્વાસથી કહે છે : ‘ કમાણી એવું તો નાનકભાઈ કરે જ નહિને ! ‘
કમાણી ગુમાવવાનું એક મોટું કારણ કદાચ નાનકભાઈનો દસ ટકા વળતરનો સિધ્ધાંત હતો . તે સ્વચ્છ વ્યવસાયનાં ધોરણ તરીકે દેશ-દુનિયામાં સ્વીકૃત છે . એને નાનકભાઈએ આજીવન આચરણમાં મુક્યો હતો . પુસ્તકો દસ રૂપિયાના ખરીદો કે દસ હજારના , વ્યક્તિગત ખરીદો કે સંસ્થા માટે ખરીદો , વળતર દસ ટકા જ . આ સદાચાર ગ્રંથવ્યવહારના એક મોટા હિસ્સા’માં ફેલાયેલા દુરાચારમાં ક્યાંથી ટકે ? કેટલીક મોભાદાર સંસ્થાઓનાં ઉપરીઓ કે ગ્રંથપાલો કે બંનેની મથરાવટી બીજા બધા વ્યવહારોની જેમ ગ્રંથવ્યવહારમાંય મેલી થવા લાગી . વિદ્યાર્થી વિદ્યાર્થીએ પૈસા બનાવનારા કેટલાક પ્રિન્સીપાલો અને પુસ્તકે પુસ્તકે પૈસો બનાવનારા કેટલાક ગ્રંથપાલો નાનકભાઈ સાથે વધુ વળતર માટે નિર્લજ્જ સોદાબાજી કરવા લાગ્યા . નાનકભાઈ લાખોનો ધંધો ગુમાવવા લાગ્યા . નફો તો દુર રહ્યો , ટકી રહેવાનાય પ્રશ્નો ઉભા થવા લાગ્યા . ગ્રંથાગાર’ની જગ્યા કઈ અમસ્તી નથી બદલાતી રહી ! ‘ ગ્રંથાગાર ‘માંથી વર્ષોથી પુસ્તકો વસાવનારા જાણીતા બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકને મતે નાનકભાઈની મુશ્કેલીનું કારણ માત્ર ભ્રષ્ટાચાર નથી . આપણે ત્યાં સાંસ્કૃતિક , સાહિત્યિક , વિદ્યાકીય ક્ષેત્રે નાદારી આવી છે ; યુનીવર્સીટીઓની પડતી થઇ છે , વાંચન નામની પ્રવૃત્તિ લુપ્ત થતી રહી છે આ બધી બાબતોની અસર નાનકભાઈ જેવા પુસ્તકવિક્રેતા પર પડે છે એમ અચ્યુતભાઈનું માનવું છે .
નાનકભાઈની કમાણી રૂપિયા નહિ પણ લોકોનો સ્નેહ અને સદભાવ . નાનકભાઈ અને તેમના જોડીયાભાઈ મસ્તાનભાઈને સોળમું વર્ષ બેઠું તે 18 ડીસેમ્બર , 1946નાં દિવસનાં પત્રમાં પિતાજીએ તેમને લખ્યું : ‘ રીતભાત , સદાચાર અને બુધ્ધી’ની સુગંધ પ્રસરાવજો . ‘ પિતાની ઈચ્છા પૂરી કરવામાં તેમનો ‘ જીકો ‘ ક્યાય ઉણો ન ઉતર્યો . નાનકભાઈ વિષે લખવા માટે જેમના સંપર્ક કર્યા તે સહુએ ભારે ઉમળકાથી તેમના વિષે માંડીને વાત કરી – ચોપડીઓની એક દુકાનવાળા વિષે નહિ , પણ એક લાગણીભીના માણસ વિષે વાત કરી . યોગેન્દ્રભાઈએ સાચું જ કહ્યું હતું કે ‘ નાનકભાઈને વ્યવસાયિક સંબંધો કરતા વ્યક્તિગત સંબંધો વધુ મુલ્યવાન લાગે છે . ‘ દિલ્હી યુનીવર્સીટીનાં ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ભારતીબહેન ઝવેરી ‘ મેઘાણીભાઈની જેમ સામા માણસને આદરથી સાંભળનારા ‘ , આપણી પ્રગતિથી રાજી થનારા , ખુબ સારા મિત્ર એવા નાનકભાઈને યાદ કરે છે . ભાવનગર યુનીવર્સીટીનાં પૂર્વ કુલપતિ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક રસેન્દ્ર પંડ્યા , મુંબઈની વિલ્સન કોલેજની છાત્રાલયનાં તેમના મિત્ર નાનકભાઈને યાદ કરે છે : ‘ નોન-અર્બન , સાદા , ભોળા , ભલા , મકકમ , સ્મોલ ટાઉન મેન વિથ ફાઈન ટેસ્ટ્સ ‘ . નાનકભાઈ ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે સ્નાતક થયેલા . બીજાની તકલીફ સમજવાની વૃતિ સહિતની નાનકભાઈની સંસ્કારિતાને લાલુભા વર્ણવે છે . પ્રશાંતભાઈ તેમની ‘ ઔપચારિકતા વિનાની લાગણીશીલતાની ‘ વાત કરે છે . તેમની જેમ બચુભાઈ પણ , નાનકભાઈની બીમારીની ખબર કાઢવા માટે અચૂક આવીને બેસે છે એ વાતને સંભારે છે . વળી કહે છે : ‘ નાનકમાં દોસ્તી કેળવવાની ઈશ્વરદત્ત દેણ છે . એ એટલું હેત રાખે કે આપણને એમ થાય કે આપણે તેમની સાથેના સંબંધોમાં કાચા પડીએ છીએ . કોઈનું દુ:ખ જોઇને એમની આંખોમાં પાણી આવી જાય . ‘
આવી લાગણીવશતા મેઘાણીબંધુઓની ખાસિયત છે . બીજી ખાસિયત તે પુસ્તકપ્રેમ . નાનકભાઈ કહે છે : ‘ એમને બધાને પુસ્તકો બહુ ગમતા , પણ ઘણાબધા પુસ્તકો વસાવવાનું તો ક્યાંથી પોસાય ? એટલે પુસ્તકો વચ્ચે રહેવા માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં ‘ લોકમિલાપ ‘ શરુ કર્યું . ‘ શબદનો સોદાગર ‘ નામે પ્રસિદ્ધ થયેલા ઝવેરચંદ મેઘાણી પરના અધ્યયનગ્રંથમાં નાનકભાઈ અને તેમના મોટા બહેન ઇન્દુબહેનની કનુભાઈ જાનીએ લીધેલી મુલાકાત વાંચવા મળે છે . તેમાં નાનકભાઈ કહે છે : ‘ પુસ્તકો લખવા માટેની શક્તિ વારસામાં નથી મળી મને . મહેન્દ્રભાઈ અને વિનોદભાઈ લખે . પણ પુસ્તકો માટેનો પ્રેમ મને વારસામાં મળ્યો હશે એટલે જ અંતરમાં છૂપો પડ્યો હશે , એટલે અંતે બહાર આવ્યો . ભણતો હતો ત્યારથી જ મિલાપ’માં કામ કરતો હતો . પછી પુસ્તકોનું કરતો ગયો એટલે ધીરે ધીરે લત લાગી ગઈ એવી કે તે છોડી ન શક્યો . મહેન્દ્રભાઈ સાથે પાંચ-છ વર્ષ કામ કર્યું . 1961થી સ્વતંત્ર કામ કરું છું . 1961થી 1977 રાજકોટમાં ‘ સાહિત્યમિલાપ ‘ની નાનકડી દુકાન ચલાવી . 1977થી અમદાવાદમાં જ છું .
રીડર્સ ડાયજેસ્ટ’નાં નમુના પર મહેન્દ્રભાઈએ ગુજરાતમાં ચલાવેલા ‘ મિલાપ ‘ માસિકમાં નાનકભાઈએ છ વર્ષ મુખ્યત્વે અનુવાદક અને સંક્ષેપકાર તરીકે સહકાર આપ્યો . એ જ દિવસોમાં ચીનનો ટૂંકો પ્રવાસ પણ કર્યો . રાજકોટની દુકાન થકી અમરેલી , ઉપલેટા , જુનાગઢ જેવા કસબાના ગ્રંથાલયો સમૃદ્ધ થયા . નાનકભાઈના પત્ની અને સમાજશાસ્ત્રના પૂર્વ અધ્યાપક કુસુમબહેન દુકાનમાં ઘણો સમય આપતા . એ યાદ કરે છે કે દુકાન સવારથી મોડી રાત સુધી ચાલુ હોય , જાણે કોઈ સમય જ નહિ . રાત્રે જમીને ચાલવા નીકળનારા પણ આંટો મારી જાય . એમ.એ.નાં વર્ગો એ વખતે બહારગામના વિદ્યાર્થીઓ માટે ખાસ શનિવાર-રવિવારે ચાલતા . એટલે એ વર્ગોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે રવિવારેય દુકાન ચાલુ હોય . કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી નોંધ કરી લે , કેટલાક લાંબા સમય સુધી વાંચતા હોય . સાતમી-આઠમી સદીમાં ઇસ્લામિક સંસ્કૃતિના સુવર્ણકાળમાં અરબસ્તાનમાં આવું હતું . ત્યાના પુસ્તકભંડારો માટે ‘ બુકશોપ સ્કુલ્સ ‘ એવો શબ્દપ્રયોગ છે .
નાનકભાઈ સૌરાષ્ટ્રની કોલેજોમાં પુસ્તકો કે બુકજેકેટ્સ ભરેલા થેલા ઉપાડીને જતા . અમદાવાદ આવ્યા પછી કેટલાય વર્ષો સંસ્થાઓમાં સાઇકલ પર જવાનું રાખ્યું . એસ.ટી. બસમાં બેસીને આણંદ , નડિયાદ , વિદ્યાનગર જેવા મુકામે જાય . જોકે કેટલાક વર્ષો પછી એમ લાગ્યું કે આમ ફરી ફરીને સારા પુસ્તકો બતાવવાનો , તેના વિષે વાત કરવામાં તેમનો હેતુ સરતો નથી અને ગેરસમજ વધુ થાય છે . એટલે ‘ પુસ્તકના અને વ્યવસાયનાં ગૌરવ માટે ‘ થઈને સંસ્થાઓના ઉંબરા ઘસવાનું તેમણે બંધ કર્યું . અલબત્ત બાકીની મહેનત તો ચાલુ જ રહી . દર મહીને એક અઠવાડિયું દિલ્હીમાં વીતે . ત્યાંના ડીલર્સની દુકાનોના ઘોડા પર ચઢી ચઢીને નાનકભાઈ એકેક પુસ્તક જુએ , સુચીઓ-કેટેલોગ્સ , ગ્રંથાવલોકનો અને ઘણું કરીને પુસ્તકો જ વાંચે . દુનિયાભરનાં પુસ્તકોના પરખંદા , અંગ્રેજીમાં પાવરધા , ઉત્તમ અંગ્રેજીમાં પત્રો ટાઈપ કરીને વાચકો – પ્રકાશકોને મોકલનારા એવા આ બુક્સેલરની સાદગી અને નમ્રતા સામેવાળા માણસને અચૂક ગેરસમજ કરાવે . દિલ્હીના વિશ્વપુસ્તક મેળે ટેબ્લેટ કે કિન્ડલ સાથે પુસ્તકના મહત્વ અંગે ઇંગ્લીશમાં ટીશફીશ કરતા માર્કેટિંગ એક્ઝીક્યુટીવ મળે છે, તે વખતે જાતમહેનત અને ઈમાનદારી સાથે પુસ્તકવેચાણને મિશન ગણનારા નાનકભાઈ યાદ આવે છે . શેણીબહેન લખે છે : ‘ બાપુ જયારે પુસ્તકોની વચ્ચે પુસ્તકો વિષે વાતો કરતા હોય ત્યારે તે સહુથી ખુશ હોય . મને બરાબર યાદ છે કે ગ્રંથાગાર’નાં એકેક પુસ્તક વિષે બાપુને બરાબર ખબર હોય . તેમાંથી દરેક તેમણે વાંચ્યું હોય . પુસ્તકના માત્ર લખાણની જ નહિ પણ નિર્માણની પણ ચકાસણી કરીને તેને ગ્રંથાગારમાં સ્થાન આપ્યું હોય . ‘ પુસ્તકની મહેનતપૂર્વકની પરખ એ નાનકભાઈની ખાસિયત . રસેન્દ્રભાઈ કહે છે : ‘ પુસ્તકનું નામ જોઇને કહી શકે કે તે પુસ્તક કેવું છે . તે પુસ્તક વિષે ગહન ચર્ચા કરી શકે . એક વિષય પરના જુદા જુદા પુસ્તકો વચ્ચેનો તફાવત બતાવી શકે . એમના મગજમાં હંમેશા પુસ્તકો જ ચાલતા હોય . ‘
બજારમાં ક્યાય ન ચાલતા હોય એવા પુસ્તકો પણ નાનકભાઈ રાખે . કેટલાક પુસ્તકો ડીલરોને ત્યાં જોયા પછી ‘ રહેવાય જ નહિ ‘ એટલે મંગાવી લે અને પછી એના માટે ગ્રાહક શોધે . વળી પાછા સમજાવે : ‘ આપણે અહી પુસ્તકો વેંચવા ઓછા બેઠા છીએ ? આપણો હેતુ તો લોકોને સારા પુસ્તકો બતાવવાનો , એ જોવા માટે તેમને અહી આવતા કરવાનો છે . ‘ નાના ગામના બુકસેલર પુસ્તકો ખરીદવા આવ્યા હોય તો પોતાને મળતા પચીસ ટકામાંથી વીસ ટકા આપી દે , જેથી કરીને સારું પુસ્તક એ જગ્યાએ પહોંચે . ઘણી વખત પુસ્તકો પહોંચાડવાનું ખર્ચ પણ ગ્રંથાગાર ભોગવે . પાર્સલના તો શું , પુસ્તકનાય પૈસા નહિ આપનારાની સંખ્યા નજીવી નહોતી . કદાચ એટલે જ નાનકભાઈનાં એક વખતના ખાસ મિત્ર કવિ મકરંદ દવેએ લખ્યું : ‘ નાનક ઇસ સંસારમે કભી ન કરીએ ઢીલ / પુસ્તક પીછે ભેજીએ પહલે ધરીએ બિલ . ‘
નાનક-મકરંદની મૈત્રી જેટલી જ ઓછી જાણીતી વાત એટલે સ્વામી આનંદનો નાનકભાઈ માટેનો સ્નેહ . નાનકભાઈ પર સ્વામી એવા આફરીન હતા કે તેમને કૌસાની લઇ જવા માંગતા હતા એટલુ જ નહિ , પણ પોતાના લખાણોના પુસ્તકો ન કરવા ઈચ્છતા સ્વામી , નાનકભાઈ પ્રકાશન કરવાના હોય તો પુસ્તકો માટે રાજી હતા . નાનકભાઈએ પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો . ‘ પરિમાણ પ્રકાશન ‘ના નામે બંગાળીમાંથી અનુવાદના ત્રણ પુસ્તકો બહાર પાડ્યા . તેમાંથી ક્ષિતિમોહન સેનનાં લખાણોના સાતસો પાનાંના પુસ્તકમાં નાનકભાઈની પ્રકાશક તરીકેની સૂઝ જોવા મળે છે . નાનકભાઈએ કેટલાક નિબંધો પણ લખ્યા હતા . તેના વિષયો હતા – આતિથ્ય , કસ્તુરીમૃગ , બારી , માં , માનવતા , વાત , વિસામો વગેરે . કેટલીક જગ્યાએ દિગીશ મહેતાના નિબંધોનું સ્મરણ કરાવતા આ નિબંધો આકાશવાણીના ‘ અમૃતવાણી ‘ કાર્યક્રમમાં વંચાયા હતા . નાનકભાઈ તેમના નકશીદાર કેલીગ્રાફિક અક્ષરોમાં મુક્તકો પણ લખતા . દીકરીની પરીક્ષા , કોઈકની વર્ષગાંઠ , સ્નેહીજને બનાવેલી સરસ વાનગી જેવા નિમિત્તે આ મુક્તકો લખાયા હતા . જોકે આવા પ્રાસંગિક મુક્તકો સિવાયનું પણ એક બહુ સુંદર છે : ‘ ખ્વાઇશ તો લખવાની બેસુમાર હતી એને ( શો ગમાર ) / લીટી હજી ના પા લખી / આવી પહોંચી પાલખી . ‘ પોતાના લખાણો વિષે નીચો અભિપ્રાય અને લેખનપ્રવૃત્તિ માટેના બહુ ઊંચા ધોરણને કારણે નાનકભાઈએ સર્જનાત્મક લખાણ નહિ કર્યું હોય તેમ લાગે છે . ‘ તળાવડીને આરે ‘ નામે બોર્નીયા’ની જંગલોની બાળલોકકથાઓનો તેમણે મહેન્દ્રભાઈની સાથે અનુવાદ કર્યો હતો . છપ્પન વર્ષ પહેલાના આ મજાના પુસ્તકની ‘ લોકમિલાપ ‘ની નવી આવૃત્તિ નાનકભાઈએ જોઈ અને પછી ચાર દિવસે એમણે વિદાય લીધી .
નાનકભાઈ એવા વિરલ પુસ્તકવિક્રેતાઓમાંથી એક હતા કે જેમનું કેટલાક ગ્રાહકોના જીવનમાં પ્રદાન હોય . એ એવા વેપારી હતા કે જેની વાત ગ્રાહક ભાગ્યે જ એક વેપારી તરીકે કરે . કેટલાકના ઋણસ્વીકાર અને સંભારણા જોઈએ : ‘ મારા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં એમની પાસેથી મળેલા પુસ્તકોનો ખુબ મોટો ફાળો છે . . કશુંક જાણ્યું તેની સંતૃપ્તિમાં એમનું પ્રદાન અનન્ય છે . ( પ્રશાંત દવે ) , ‘ હું એમનો એક યુવાન મિત્ર . મારો એમના માટેનો આદર શાળા કે કોલેજના આપણા પ્રિય શિક્ષક માટે જ હોય છે તેવા . આપણને એ ગમતા હોય તેમાં કોઈ પણ દબાણ વિના તેમની સાથે વાત કરવાની મુક્તિનો આનંદ પણ ભળેલો હોય છે . ( એસ.બી.ઇશ્વરન ) , ‘ એંશી’નાં દાયકામાં એ અમને તત્વજ્ઞાનનાં આધુનિક પ્રવાહો પરના એવા દુર્લભ પુસ્તકો મેળવી આપતા કે એ ચમત્કાર જ લાગે . ( હર્ષવર્ધન ત્રિવેદી ) , ‘ ગ્રંથાલય વિજ્ઞાનમાં કહ્યું છે તે પ્રમાણે એ પણ માને છે કે દરેક વાંચકને એનું પુસ્તક મળવું જોઈએ ‘ ( ભારતીબહેન ઝવેરી ) , ‘ એ મને પુસ્તકો જ નહિ પણ ગુજરાતના લોકો , તેમની ખાણીપીણી , અને મારા સંશોધન વિષય એવા ગુજરાતના ઈતિહાસ અંગે પણ મુલ્યવાન માહિતી આપતા . મને એમને ત્યાં ઘર જેવું લાગતું ‘ ( જાપાનની ટોક્યો યુનીવર્સીટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ એરિયા સ્ટડીઝનાં અધ્યક્ષ ) .
ઓગણીસમી સદીના ઈંગ્લેન્ડના વડાપ્રધાન વિલયમ ગ્લેડસ્ટને કહ્યું છે : ” The Greatest Public Benefactor is the man distributing Good Books ” આ ઉક્તિની સાર્થકતા નાનકભાઈનાં કામમાં જોવા મળે છે વ્યક્તિઓ , સંસ્થાઓ અને સરવાળે સમજ તેમ જ સમાજ માટે એક પુસ્તકવિક્રેતા કેવો ફાળો આપી શકે તેનો ખ્યાલ આવે છે . અચ્યુતભાઈ કહે છે : ‘ ગુજરાત વિષે ગુજરાતી અને અંગ્રેજી એવા બે વાણીજગત ( ડીસ્કોર્સ ) છે . તેમની વચ્ચે એક સેતુ , એક સંબંધસૂત્ર નાનક અને જયંત મેઘાણી દ્વારા સધાય છે ‘ ઓક્સફર્ડ’ની બેલીયલ કોલેજમાં સ્કોલર તરીકે ભણેલા રસેન્દ્રભાઈ કહે છે : ‘ ઓક્સફર્ડ’નાં બ્લેકવેલ જેવી સેવા અહી મળે છે . ‘ Nanakbhai is the best person in the tradition of the bookseller . ‘
વ્યવસાય નિમિત્તે ઇંગ્લેન્ડ અને ફ્રાંસમાં રહેલા હર્ષવર્ધન કહે છે : ‘ તમે પુસ્તકનું નામ આપો અને નાનકભાઈ ખુશ થાય . તમારા માટે બધું કરી છૂટે . એ બાબતે પેરિસના બુકસેલર્સ નાનકભાઈની યાદ અપાવતા . પુસ્તકવેચાણનાં આંતરરાષ્ટ્રીય માપદંડોને તે પોતાની રીતે અનુસરતા . ‘ હર્ષવદન બીજી એક બાબતમાં પણ ‘ ગ્રંથાગાર ‘ને યુરોપના કેટલાક ગ્રંથભંડારોની હરોળનો ગણાવે છે – પુસ્તકભંડાર એટલે મળવાનું સ્થાન . આશિષ મહેતા લખે છે : ‘ પછીના વર્ષોમાં તો હું કેવળ નાનકભાઈને મળવા ગ્રંથાગારમાં જતો . ત્યાં મારા જેવા બીજાય હોય . એટલે જેને હું ઘણા દિવસે મળ્યો ન હોઉં તેના સમાચાર મને ગ્રંથાગારમાંથી મળે , અને કેટલીકવાર તો માણસ પોતે જ ત્યાં મળી આવે ! દિલ્હી યુનીવર્સીટીના પૂર્વ કુલપતિ ઉપેન્દ્ર બક્ષી જયારે જયારે અમદાવાદ આવે ત્યારે પહેલા પૂછે ‘ ગ્રંથાગાર જવાનું શું છે ? ‘ આ વાત તેમના મોટા ભાઈ અને તત્વજ્ઞાનના અગ્રણી અધ્યાપક મધુસુદન બક્ષી પાસેથી જાણવા મળી . અનેક ક્ષેત્રના પુસ્તકપ્રેમીઓ પોતાની દુકાને આવે , બેઠકો કરે તે નાનકભાઈને ગમે તેટલું જ નહિ , જરૂરીય લાગે . ‘ ગ્રંથાગાર ‘માં જેમની વર્ષોથી અવરજવર હોય તેવા સાહિત્યકારો , ચિત્રકારો , સ્થપતિઓ , અર્થશાસ્ત્રીઓ , વૈજ્ઞાનિકો , ચિંતકો , કર્મશીલો બહુ જ લાંબી થાય .
યોગેન્દ્ર માંકડ કહે છે : ‘ અહી આવો , ચર્ચા કરો , નાસ્તો કરાવીશ , ચર્ચામાં ભાગ લઈશ , મારી દુકાનમાં એક એકેડેમિક કોર્નર હોય . . . આવું આપણને ક્યાંથી મળે ? ‘ આવું પહેલેથી જ છે તે પેરિસના ‘ શેકસપિયર એન્ડ કંપની ‘ નામના જગવિખ્યાત પુસ્તકભંડારમાં . નિરંજન ભગતે અભ્યાસલેખોની પુસ્તકશ્રેણી ‘ સ્વધ્યાયલોક ‘નાં ત્રીજા ભાગમાં આ કિતાબઘર વિશે લેખ કર્યો છે . તેમાં તેના માલિક વિષે જે લખ્યું છે તે નાનકભાઈને પણ ઠીક લાગુ પડે છે : ‘ જ્યોર્જ વ્હીટમેન તો છેક અને છેવટે અને નછુટકે જ વિક્રેતા . એ વ્યવસાયે ભલે વિક્રેતા પણ સ્વભાવે તો એ પુસ્તકપ્રેમી ગ્રંથાલયી જ . ઉદરનિર્વાહ અર્થે જેટલો ગ્રંથવિક્રીય અનિવાર્ય હોય તેટલો પણ ક્યારેક તો ન થાય . કોઈ ઝટપટ પુસ્તક ખરીદે ને પટપટ એમની દુકાનમાંથી ચાલ્યો જાય એ એમને અસહ્ય . પણ કોઈ પુસ્તકપ્રેમી એમની દુકાનમાં પુસ્તકો જોયા જ કરે , જોયા જ કરે એ એમને અતિપ્રિય . એમને જેટલું પુસ્તક વેંચવું પ્રિય નહિ તેટલું ધીરવું પ્રિય . . . એમણે આન્દ્રે માર્લો’ને એક પત્રમાં લખ્યું હતું : ‘ હું પુસ્તકોને મૈત્રી માટેનું સાધન માનું છું . વિક્રય માટેની વસ્તુ નહિ . અમરત્વ જેમને વર્યું હોય તેવી ચીજવસ્તુઓ વેંચવાને હું રાજી નથી .
‘ શેકસપિયર એન્ડ કંપની ‘ પુસ્તકભંડાર પુસ્તકો , સિનેમા અને દસ્તાવેજી ફિલ્મોમાં સ્થાન પામ્યો છે . આઠેક વર્ષ પહેલા જેરેમી મર્સર નામના કેનેડીયન લેખકે આ પુસ્તકભંડારના સ્મરણો ‘ Time Was Soft There ‘ નામના પુસ્તકમાં લખ્યા છે અને તેમાં વ્હીટમેનના જીવનને વણી લીધું છે . નાનકભાઈ અને ગ્રંથાગાર પણ પુસ્તકનો વિષય હતા . થોમસ કાર્લાઈલે એ મતલબનું લખ્યું છે કે દસ રાજાઓના ઈતિહાસ કરતા એક બુકસેલરનો ઈતિહાસ મુલ્યવાન છે . ઓગણીસમી સદીના આ બ્રિટીશ ચિંતક જે કહે તે ભલે , પણ નાનકભાઈની બાબતમાં વાચક-પત્રકાર ઇશ્વરન’ની વાત સાચી લાગે છે : ‘ કાચથી મઢેલી અને રંગબેરંગી બુકશોપ્સ’નાં ધંધાએ ‘ ગ્રંથાગાર ‘ જેવા પુસ્તકભંડારો અને નાનકભાઈ જેવા માણસોને બરાબર ભીંસમાં લીધા . ‘ ગ્રંથાગાર’નાં વિરામ વિશેના એક અંગ્રેજી લેખનું છેલ્લું વાક્ય હતું – ” The City without a Bool-place like ‘ Granthagaar ‘ appears slightly less civilized to me . ” , એટલે કે ગ્રંથાગાર જેવા પુસ્તક સ્થાનક વિનાના શહેરમાં મને સંસ્કારિતા અને સંસ્કૃતિની કૈક ઉણપ હોય તેવું જણાય છે . ‘ ગ્રંથાગાર ‘ વિરામ પામ્યા બાદ ઉભો થયેલો ખાલીપો નાનકભાઈની વિદાય પછી વધુ ઘેરો લાગે છે .
ઉર્વીશભાઈ કોઠારી‘ના બ્લોગ પર નાનકભાઈ અને ગ્રંથાગાર’ની સ્મૃતિઓ વહેંચતો સુંદર લેખ
ડો.અશ્વિનકુમાર’નાં બ્લોગ પર નાનકભાઈ અને ગ્રંથાગાર’ની સ્મૃતિઓ વહેંચતો સુંદર લેખ
Sam said:
બહુ જ સરસ વ્યક્તિત્વ. અત્યારે તો આવુ કરવું મુશ્કેલ છે જ્યાં ઘર, કાર અને નવી ટેકનોલોજી ખરીદવા પાછળ માણસ દોડતો જ રહે છે.
એવું પુસ્તકાલય જ્યા મન લાગે, જ્યાં જ્ઞાનનો ભંડાર હોય. અત્યાર ની જનરેશન આ બધું ગુમાવી રહી છે. અેની વે.. અત્યારે વંચાઇ રહેલુ પુસ્તક ‘ચીન મારી નઝરે’ – સ્વામી સચ્ચિદાનંદ.
અને એક ગીત મારા પ્લેલીસ્ટ માંથી. (now I have 2000+ tracks)
LikeLike
નિરવ said:
મારા વિચારે આવા વ્યક્તિત્વો’નો તાગ મેળવવો મુશ્કિલ છે . સરળતા , સહજતા અને સ્થિરતા’નો આવો ત્રિવેણી સંગમ તો એક પ્રકારનું તપ જ કહી શકાય !
સ્વામી સચ્ચિદાનંદ’નાં ઓલમોસ્ટ 95% ટ્રાવેલોગ વંચાઈ ચુક્યા છે . જયારે સહજ વિચારો મકકમ બનીને રાહમાં નિતનવીન અનુભવોની એરણે ઘડાય ત્યારે પ્રવાસ ફળે છે .
. . ફરી કહીશ , સુંદર ગીત [ પણ , 2000+ ગીતો ! આઈલા !! ]
LikeLike
સુરેશ said:
બહુ જ સરસ પરિચય. અમદાવાદી હોવા છતાં – આવા મહાન વ્યક્તિત્વની ખબર ન હોય એ નામોશી જ કહેવાય. અને તે પણ ચોપડીઓના કીડા જેવા આ જણ માટે.
ચોપડીઓ ખરીદવાનાં નાણાં ન હતા, પણ લાયબ્રેરીઓનો ખુડદો બોલાવી દીધો હતો – એ એક માત્ર આશ્વાસન છે !
ખેર, પરિચય કરાવવા માટે ખુબ ખુબ આભાર.
હવે ગુ.પ્ર.પ. ના ફોર્મેટમાં તેમનો પરિચય બનાવી આપશો ને? બની શકે તો ફોટા સાથે.
LikeLike
નિરવ said:
પુસ્તકો , પુસ્તકોની દુકાન , લાઈબ્રેરી આ બધું જ મને કુદરતી રીતે આકર્ષતું પણ ક્યારેય કોઈ એવું વ્યક્તિત્વ , એવી દુકાન કે લાઈબ્રેરી’માં ન મળ્યું કે જેમને પણ વાંચવા આપણને જવાનું મન થાય ! કે જેમની પાસે કાંઈ જાણવાનું , પાસે બેસીને સાંભળવાનું મન થાય . . .
જોકે એક તબકકા બાદ લાઈબ્રેરી’થી નાતો તૂટી ગયો અને હવે ઘરમાં જ લાઈબ્રેરી ઉભી કરવી પડે તેટલા પુસ્તકો વસાવી શક્યો છું , તેનું સુખ છે 🙂
તેમની ઓથોરાઈઝડ તસ્વીર તો નાં મળી , પણ એક સુંદર નાની શી કલીપ મળી આવી . નાનકભાઈ તેમના પિતા અને ગાંધીજી વિષે વાતો કરતા ભાવુક થઇ જાય છે [ 13:15 મિનીટ’થી 16:55 મિનીટ સુધી ]
LikeLiked by 2 people
Shailesh Limbachiya said:
નાનંકદાદા જેવા વિરલ વ્યક્તિત્વ માટે નમનથી વધુ કશું સુઝે જ નહીં.
LikeLike
નિરવ said:
આવા વ્યક્તિત્વો જ ખરા ગુજરાતી , ખરા ભારતીય અને વ્યાપક તથા સુક્ષ્મ અર્થમાં સાચા માણસ હોય છે .
તેમનું પરીક્રમણ અને પરિભ્રમણ બંને પુસ્તકોને સુસંગત જ હતું . . પુસ્તકો દ્વારા જે પ્રકાશ તેમને મળ્યો , તે તેમણે ચંદ્ર’ની પેઠે આપણને વહેંચ્યો .
LikeLike
કાર્તિક said:
જ્યારે ગ્રંથાગારમાં ગયેલો ત્યારે કદાચ નાનકભાઇનો પરિચય નહોતો. Sad તેમનાં વિશે ગુજરાતી વિકિપીડિયામાં લેખ બનાવવાની શરુઆત કરી છે. કદાચ એટલું તો હું શ્રધ્ધાંજલિ રુપે કરી શકું. વિકિપીડિયામાં ફોટો ઉમેરવાનું કોઇકને કહેવું પડે જે અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ છે (દા.ત. બક્ષીબાબુની તસ્વીર માટે હું દર-દર ભટકું છું, પણ કોઇ આપવા તૈયાર થયું નથી! :/)
LikeLike
નિરવ said:
તમને તો નાનકભાઈ’નો પરિચય ન્હોતો , જયારે મને તો ગ્રંથાગાર + નાનકભાઈ’નાં અસ્તિત્વ’ની જ જાણ ન્હોતી !!!
સુરેશદાદા (જાની) પણ ગુજરાતી પ્રતિભા પરિચય પર તેમનો પરિચય બનાવવા ધારે છે .
તેમના વ્યક્તિગત રીતે પાડેલા ફોટોઝ તો મારા ખ્યાલે ઉર્વીશભાઈ કોઠારી અને ડો.અશ્વિનકુમાર પાસેથી જ મળી શકે [ સંજયભાઈ ભાવે પાસે નથી ] બક્ષીબાબુ માટે ફોટો ન મળે એ ખરેખર વિચિત્ર વાત કહેવાય !!
LikeLiked by 1 person
રૂપેન પટેલ said:
મેં સાહિત્ પરિષદ ની મુલાકાતે જતા ઘણીવાર જોયેલા. ગ્રંથાગાર માં પ્રવેશતા જ તેમનું ધ્યાન આપણી પર પડે જ અને બુક પસંદગી માં મદદ કરતા પણ મેં જોયા છે.
બીલમાં ઉપર સુત્ર પણ સરસ અને વાંચવા જેવું છે
LikeLike
નિરવ said:
જ્યારે પુસ્તકો અને પુસ્તકોના આવા કદરદાન વ્યક્તિ એક જ જગ્યાએ મળી જાય ત્યારે તે જગ્યાનું સત્વ આપોઆપ વધી જવા પામે છે.
મને આજે પણ ઓનલાઇન બુક્સ કરતા જાતે જ પુસ્તકોના પન્નાઓ ફેરવીને ખરીદવામાં અવર્ણનીય આનંદ આવે છે. પણ ત્યારે પણ મહદઅંશે કોઈ નાનકભાઈ જેવું આંગળી ચીંધનાર નથી હોતું.
અલ્પાચમન જ્ઞાનોદધી કેરુ …..
LikeLike