ટૅગ્સ
Ankit trivedi, અંકિત ત્રિવેદી, ઈશા કુન્દનિકા, કાંતિ ભટ્ટ, કાજલ ઓઝા વૈદ્ય, ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત બક્ષી, ચિનુ મોદી, જય વસાવડા, મારું સત્ય, હર્ષ બ્રહ્મભટ્ટ, Chandrkant Bakshi, Chandrkant Topivala, Chinu Modi, Harsh brahmbhatt, Jay Vasavada, Kajal Oza Vaidya, Kanti bhatt, Kundnika Kapadia
ચાલો આટલા દિવસો સુધી તમારી માથે મુવીઝ ઝીંક્યા ઝીંક કર્યા બાદ મને સત્ય લાધ્યું અને હું મારું સત્ય લઈને હાજર થયો 🙂 તો બ્લોગર મિત્રો અને વડીલો આજે ફરી વળીએ પુસ્તકને ખોળે મસ્તક રાખીને શબ્દયાત્રાની અદભુત કેડી પર . . .
તો હવે આવનારા થોડાક દિવસો વાતો થશે , અદભુત કવિ અને વક્તા શ્રી અંકિત ત્રિવેદી અને શ્રી હર્ષ ભટ્ટ સંપાદિત અદભુત એવી સત્યની સફરે લઇ જનારા પુસ્તક , ” મારું સત્ય “ની . . . અને હા , હું મોટાભાગે આ પુસ્તકના ત્રણ ભાગ કરવાનું વિચારી રહ્યો છું તો બસ આવનારા દિવસોમાં મજા જ મજા 🙂
39 જેટલા ગુજરાતી સાહિત્ય અને સમાજક્ષેત્રે દિગ્ગજોના જીવનનું સત્ય અથવા તો એમ કહો કે તેમનું સત્ય , તેમની લાગણી , તેમનો ઝુકાવ , તેમની માન્યતા , તેમના સંઘર્ષો અને તેમાંથી બંધાતું તેમનું સત્ય . . . એક રીતે કહીએ તો તેમનું જીવન તેમના ક્યાં સત્યને લીધે બંધાયું છે , જીવાયું છે અને હજી પણ આગળ તેની જ મદદથી તેઓ આગળની કેડી કંડારશે . તે આ પુસ્તકમાં અનન્ય રીતે ઝીલાયું છે . . . મોટાભાગે તો મેં તેમની વાતોમાંથી મને કઈક જે અડી ગયું છે { સ્પર્શી ગયું છે 🙂 } તેનો અહી ઉલ્લેખ કર્યો છે અને પહેલા 17 લેખકોમાંથી થોડાક મહાનુભાવોની વાતો અહી રજુ કરી રહ્યો છું . . . બાકીના દિગ્ગજોની વાતો બાદમાં 🙂
શરૂઆત કરીએ ભૂતકાળની હવાઓમાથી આપણા દિલો-દિમાગને ઝંકૃત કરી નાખતા ઝબરદસ્ત શબ્દોથી . . .
સત્યની શોધના સાધનો જેટલા કઠણ છે તેટલા જ સહેલા છે . એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે . સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે . જગત આખું રજકણને કચડે છે , પણ સત્યનો પુજારી તો રજકણ સુધ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે !
અને એ લેવાયા છે . . ” સત્યના પ્રયોગો “ની પ્રસ્તાવનામાંથી . . By one & only ” Gandhi Bapu ”
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
1} ” છે ” અને ” રહેશે ” ની વચ્ચે – અંકિત ત્રિવેદી
અનુભવને જો ઉંમર સાથે જ લેવાદેવા હોય તો મારું સત્ય – ‘ પાશેરામાં પહેલી પુણી ‘ – જેવું લેખાશે અને અનુભવ તથા ઉંમરને જુદા જુદા પલ્લામાં રાખીએ તો ઉમાશંકર જોશીની કવિતાને શ્વાસમાં ભરીને કહી શકું કે ” માઈલોના માઈલો મારી અંદર પ્રવાસ ચાલે છે . . ” હું તો એ પ્રવાસના રસ્તે પડેલી મારી પગલીઓની લીપી ઉકેલવાનો પ્રયાસ કરું છું . પ્રત્યેક પગલી મને વિસ્મયથી જુએ છે અને રસ્તો વધુ લાંબો થતો જાય છે . છતાય મુંઝાતો નથી . મારી મૂંઝવણને શબ્દમાં ઉતારીને ઉજવું છું .
આ સત્ય ક્યારેક મારી પાસે પ્રશ્નો પુછાવડાવે છે અને જવાબો પણ મારી પાસેથી જ અપાવડાવે છે . વાંચવાનો શોખ છે છતાય એવું શું છે જે મારી પાસે કવિતા લખાવડાવે છે ? વેદ , ઉપનિષદ , ઋચાઓ આટલું બધું લખાઈ ગયું છે . નરસિંહ , મીરાં , કબીરે લખ્યું છે . પછી મારે શું કામ લખવું જોઈએ ? અને ‘ મારું સત્ય ‘ ઘૂંટાતું જાય છે . ગીતનો લય મારી પીઠ થાબડે છે . ગઝલના છંદો મને હુંફ આપે છે . એ માધ્યમથી એકાંત મુખર નથી થતું વધુ શાંત પ્રશાંત બને છે . એને કોઈના આધાર કે અવલંબનની જરૂર નથી રહેતી . . . બ્રહ્માંડના અલૌકિક નાદને આહલાદી શકું છું . એમ કરતા હું મને સાંભળી લેતો હોઉં છું અને મારા સત્ય પરથી ધૂળ ઉડતી જાય છે .
કુદરતની જેમ વધુ નજીક જવાનો પ્રયત્ન કરું છું તેમ દુનિયા વધુ પાસે આવતી જાય છે . હું સંકોચાતો જાઉં છું , પેલો તડકો જે બારી પાસે આવીને મારો થઇ જાય છે , તેની સાથે વાતો કરું છું અલકમલકની . . . પછી દુનિયાને જોવાનું સત્ય બદલાઈ જાય છે . ‘ મારું સત્ય ‘ મારા પુરતું સીમિત થઇ જાય છે અને હાં , પેલો ‘ માઈલોનો માઈલોનો પ્રવાસ ‘ મારું મનોબળ વધારતો રહે છે .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
2} શૂન્ય થઈને પામવાનો પ્રયાસ – કાઝલ ઓઝા વૈધ
જેને પોતાનો કોઈ આકાર કે સ્વરૂપ નથી , જે કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી , જે કોઈ વિચાર કે મન:સ્થિતિ નથી , જેને કોઈ ચહેરો – નામ કે ઓળખાણ નથી એવા સત્યનું આટલું મહત્વ કેમ છે ?
અહી એક ઝેન કથા યાદ આવે છે ; એક ઝેન સાધુને એક દીવો લઇ જતા બાળકને કઈક શીખવાડવાનો સંકલ્પ થયો અને તેમણે તેને રોકીને પૂછ્યું ; ‘ તને ખબર છે કે આ જ્યોતિ ક્યાંથી આવે છે ? ‘
છોકરાએ સાધુ સામે જોઇને બીજી જ ક્ષણે ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો અને કહ્યું કે જ્યાં આ જ્યોતિ જતી રહી , ત્યાંથી જ તે આવે છે ! { મેં અગાઉ પણ સાંભળેલી , આ મારી અત્યંત પ્રિય કથા છે 🙂 }
મને બાળપણથી જ એક વાત શીખવવામાં આવી છે કે સત્ય ક્યારેય કશું મેળવવા માટે ન આચરવું . સત્યનું આચરણ તમારી લાગણીની કે જીવનની લેવડદેવડનો ભાગ હોઈ જ ન શકે . સત્ય તો એટલા માટે હોઈ છે કે એ છે જ !
સમયની સાથે મારામાં ઉગેલા સત્યે મને શીખવાડ્યું કે હું ‘કોઈ’નાં માટે કઈ ન કરું . જે કાઈ કરું તે મારા પોતાના માટે જ કરું . સાચું બોલું તો એટલા માટે , કારણ કે મને સાચું બોલીને સારું લાગે છે .કોઈના દુ:ખમાં એના પડખે ઉભી રહું , તો એટલા માટે , કારણ કે એમ કરીને મને સંતોષ થાય છે . ઈમાનદારી રાખું તો એટલા માટે , કારણ કે મને ઈમાનદાર હોવાથી મારા પોતાના પરત્વે માન જાગે છે .
જિંદગીનું ગણિત કોઈ પણ સમયે , કોઈ પણ ઉંમરે ફરી ગણી શકાય એવું મને લાગ્યું છે અને એને માટે શુન્યથી જ શરુ કરવું પડે . શૂન્યતા ખાલીપો નથી . શૂન્યતા અધુરપ પણ નથી . શૂન્યતા કોઈ એવી ચીજ નથી , જેમાં કોઈ વ્યક્તિએ પોતાની આસપાસ કશું ન હોવાની લાગણી અનુભવવી પડે . શૂન્યતા તો ખરેખર છલોછલ હોવાનો એક નવઅનુભવ છે . જેમાં પહેલું પગથીયું કદાચ ખાલી થવાનું છે . નવા જન્મતા બાળકના કે મૃત્યુ પામેલી વ્યક્તિના ખાલી હાથની મુઠ્ઠી , સત્યનો અનુભવ છે . ખાલી મુઠ્ઠીમાં કશું જ નથી અથવા હવા છલોછલ ભરેલી છે . એવી હવા , જેને આપણે જોઈ નથી શકતા , પણ અનુભવી શકીએ છીએ – સત્યની જેમ .
મને બાઈબલ નું એક વાક્ય મારા સમગ્ર સત્યની ઓળખ તરીકે કહેવાનું મન થાય છે ; ” તમને પ્રાર્થના કરવાનો અને તમારી માંગણી મુકવાનો પુરેપુરો અધિકાર છે , પણ સામે એટલી તૈયારી જરૂર રાખજો કે પ્રાર્થનાનો જવાબ ક્યારેક નાં પણ હોઈ શકે ”
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
3} મારું સત્ય શું છે ? – કાંતિ ભટ્ટ
ફ્રેંચ લેખક માઈકલ મોન્ટે એ 1580નાં એક નિબંધમાં લખેલું કે માણસ પોતે એક ઉંદર બનાવી શકતો નથી , પણ ડઝન બંધ ઈશ્વર અને સેંકડો ધર્મ પેદા કરે છે .જાણે બધા માટે સત્ય અલગ અલગ હોય ! સત્ય બોલો અને ધર્મનું આચરણ કરો એ જ સૂત્ર હોવું જોઈએ . મેં મારો ધર્મ 40 વર્ષથી નક્કી કર્યો તે પત્રકારત્વ મારે માટે ધર્મ-કર્મ અને સત્ય છે , પણ તે પહેલા 4 વર્ષનો હતો ત્યારથી સખત કામ કામ કામ એ જ મારે માટે સત્ય હતું . આજે પત્રકારત્વમાં હું બની શકે તેટલું સત્ય જાળવી શકું તે મારું સત્ય છે – ધર્મ છે .
ઈશ્વર પણ તમામ સમયે ભેરે આવતો નથી .ત્યાર પછી આપણે પોતે જ આપણી જાતને ઈશ્વર બનીને તારવાનું હોય છે . તે માટે મેં કવિ પ્રહલાદ પારેખની કવિતા પસંદ કરી છે :
આપણે ભરોસે આપણે હાલીએ
ઓ ભેરુ મારા
બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી
સાગર મોઝારે ઝુકાવીએ
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે
કોણ લઇ જાય સામે પાર
એનો કરવૈયો કો આપણી બહાર નહિ
આપણે જ આપણા છઈએ હો ભેરુ .
બચપણમાં બીજાનો ધર્મ અમારે માટે ત્રાસરૂપ હતો . પરીક્ષામાં વહેલા ઉઠીને વાંચવાનું હોય ત્યારે નજીકના શંકરના મંદિરમાં ઘણા ભક્તો જોર જોરથી ઘાંટા પડે . બે હોઠ વચ્ચે આંગળી નાખીને જોરજોરથી હરરરર કરીને જાણે શંકર ભગવાન બહેરા હોય તેમ ઘંટ વગાડે . આજે પણ કેટલાક વિદ્વાનો તેમના કહેવાતા ધર્મનો અતિરેક કરે છે ! પલાંઠી મારીને અડધો કે એક કલાક ધ્યાનમાં બેસવામાં હું માનતો નથી . આ ક્ષણે હું લેખ લખું છું તે પણ મારી પૂજા જ છે .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
4} સત્યને હજુ સુધી આંચ નથી આવી — ઈશા – કુન્દનિકા
સત્ય એક સુંદર શબ્દ છે – પ્રિય લાગે તેવો અને પવિત્ર . આખા શબ્દકોશમાંથી જુજ શબ્દો જ એવા મળે જેમની પવિત્રતા અને સુંદરતા હજુ અકબંધ રહ્યા હોય . પ્રેમ શબ્દનો દાખલો લઈએ – એ કેવો તો નિમ્ન , સ્થૂળ , દૈહિક ક્ષણિક આકર્ષણોની ધૂળમાં રજોટાઈને મેલો ને ગંદો થઇ ગયો છે ! એવા શબ્દો છે – પ્રગતિ , વિકાસ અને કદાચ બીજાઓ કબુલ ન કરે , પણ એવો મેલો , અતિ મેલો થઇ ગયેલો શબ્દ છે “સુખ” !
ગીતા મારું એક પ્રિય પુસ્તક છે , તેનો પાઠ નિયમિત કરું છું , પણ તેમાં સ્ત્રી અને ક્ષુદ્ર વિષે જ્યાં અરુચિકર ઉલ્લેખ છે તેના પર મેં ચોકડી મૂકી છે . આ ન્યાય મારું સત્ય છે . સમાનતાની આ વિભાવના મારું સત્ય છે . સમાજે પોતાના સ્વાર્થી હિતની રક્ષા કાજે ઘણા તુત સર્જ્યા છે . ‘ અખંડ સૌભાગ્યવતી ‘ વાળી વાત પણ એક મહાતુત છે . કયું સૌભાગ્ય ? કોનું સૌભાગ્ય ? સુભાગ્યમાંથી સૌભાગ્ય શબ્દ કેવી રીતે ઉદભવ્યો અને એનો સ્ત્રી માટે આવો સાંકડો , ક્ષુદ્ર અર્થ કોણે પ્રચલિત કર્યો ?
મારી એક વાર્તા ‘ જવા દઈશું તમને ‘માં મેં લખેલું કે આનંદથી મરી શકવું તે મોટું સૌભાગ્ય છે . હું તો એમ ઈચ્છું કે આ અ.સૌ . શબ્દને વ્યવહારમાંથી જ નહિ , શબ્દકોશમાંથી પણ રદ કરવા આવે . આવા બીજા પણ થોડા તુત છે ‘ મંગલ સૂત્ર ‘ – અને તરેહ તરેહના વ્રતો . જે માત્ર સ્ત્રીઓ કરે છે અને પતિ મેળવવા કે પતિના રક્ષણ માટે કરે છે . કોઈ પતિએ શું પત્ની માટે ક્યારેય વ્રત કર્યું છે ? ભાઈ , બધી જ બાબતો સ્ત્રીને જ લાગુ પડવાની ? પુરુષ સાવ છુટો , નફકરો , પોતાનું બધું અકબંધ સાચવી રાખનારો ?
ઈચ્છા રાખીએ કે કોઈ દિવસ સત્યનો સૂર્ય ઝળહળે અને લેભાગુ રાજકારણીઓ , જુઠ્ઠા નેતાઓ , લાંચિયા અમલદારો , હિંસકતાને વરેલા ધર્માંધોની જમાત અંધકારમાં ઓગળી જાય અને સામાન્ય નિર્દોષ મનુષ્યો માટે પૃથ્વી પરનું જીવન સહજ આનંદમય બની રહે . મનુષ્યજાત શું કદી સત્ય નીરખશે ?
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
5} તેરી મહેફિલ મેં લેકિન હમ ન હોંગે – ચંદ્રકાંત બક્ષી
સત્યનો જાય હો , સત્યમેવ જયતે , સત્યનો જ જય થાય છે , નાનૃતમ , અસત્યનો નહિ , સત્ય જીવનનો એકમાત્ર આધાર છે , મૂલાધાર છે . સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે . અસત્ય તજો . સત્ય નિદ્રંદ છે , નિર્વિકલ્પ છે . સત્ય વિધેયક છે . અસત્ય વિનાશક છે . ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ ઈશ્વર છે ! આનાથી ઉપર કોઈ વ્યાખ્યા નથી .
વર્ષો પહેલા મુરારિદાસ હરિયાણી AKA મુરારિબાપુ મુંબઈમાં મારે ઘરે આવ્યા હતા , મને તલગાજરાડાના તેમના સાહિત્યોત્સવમાં પ્રવચન આપવાનું આમંત્રણ આપવા . એ મને ‘ બક્ષી બાબુ ‘ કહે અને હું તેમને ‘ મુરારીબાપુ ‘ કહું . ઘણી બધી બાબતો પર સપ્રેમ અને સાદર અમે એકબીજાની વાત પર અસહમત થઈએ છીએ અને ઘણા મુદ્દાઓ પર અમારું બંનેનું શાલીન અને શિષ્ટ મતૈક્ય હોય છે . મેં નાં પડી , હું વક્તાઓના કાફલામાં કે ભક્તોના ટોળામાં ઘૂસીને હજાર ડોલરની સખાવત ખિસ્સામાં સરકાવનારો લેખક નથી , મને માત્ર મારી ગુજરાતી પ્રજાના ગુલામ થવાનો ગર્વ છે . જે દિવસે ગુજરાતી પ્રજા મને ફેંકી દેશે , હું ખુશીથી કલમ તોડી નાખીને , મારા સોફા પર બેસીને , વ્હીસ્કીનો ગ્લાસ લઈને મહેંદી હસનની કેસેટ સાંભળતો રહીશ ; મુહબ્બત કરનેવાલે કમ ના હોંગે / તેરી મહેફિલમે લેકિન હમ ન હોંગે . . !
કબર છેલ્લી અદાલત છે . ભૂતકાળના ધુમાડામાં બધી જ સિધ્ધિઓ ના-પાયાદાર બનતી જાય છે , પણ માણસને માટે અંતિમ આશીર્વાદ સર્જનહારે બનાવી દીધો છે : મૌત ! મારું સત્ય મને જીસસ અને મહાવીર અને રામ અને કૃષ્ણ અને બુદ્ધ અને મહંમદ અને મોઝીઝ્નો સમકક્ષ બનાવી દે છે . . .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
6} સત્ય તો શોધનો પર્યાય છે . . – ચંદ્રકાંત ટોપીવાળા
બાઈબલમાં કહ્યું છે કે ‘ તું સત્ય જાણશે અને સત્ય તને છોડાવશે . ‘ અરે ભાઈ , અહી તો ખાલી ‘સત્ય’ બોલું છું અને આભાસી સત્ય , કામ ચલાઉ સત્ય , પરમ સત્ય , પૂર્ણ સત્ય , આંશિક સત્ય , અર્ધ સત્ય , નગ્ન સત્ય , કેવળ સત્ય , શુદ્ધ સત્ય , બહારનું સત્ય , અંદરનું સત્ય , ગહન સત્ય – એમ જાણે કે સત્યની અક્ષૌહોણી સેના મારી સામે ખડી થઇ જાય છે . મને પરસેવો છૂટવા માંડે છે , મારા ગાત્રો ગળવા ચાલુ થઇ જાય છે . ખાલી સત્ય બોલવાથી હું આ સ્થિતિમાં મુકાતો હોઉં તો મારું સત્ય તું હું કેમનું સહન કરીશ ? મારું સત્ય એમ કહું ત્યારે તમારું , તેઓનું , બીજા બધાનું સત્ય બહાર રહી જાય છે . એ લોકોના સત્યનું શું ?
આથી જ કહેવાયું છે કે જે સત્યની શોધમાં છે તેમાં શ્રદ્ધા રાખો . જેને સત્ય મળી ગયું છે , એના તરફ શંકાથી જુઓ , કારણ મળી ગયેલું સત્ય તો નર્યું જુઠ્ઠાણું છે . સમજી લેવાની જરૂર છે કે ડુંગળીના પડોને ઉખેડી ઉવેખીને ડુંગળીના સત્યને શોધવા જનારા છેવટે ભોંઠા જ પડે ! સત્ય તો શોધનો પર્યાય છે . કેવેફીના ‘ઇથાકા’નીજેમ એનું કોઈ મુલ્ય નથી . મુલ્ય તો શોધનું છે , શોધના પ્રવાસનું છે , શોધની પ્રક્રિયાનું છે . ક્ષિતિજની જેમ એ પડકારે છે , ક્ષિતિજની જેમ એ આકર્ષે છે પણ ક્ષિતિજની જેમ એ આઘું ને આઘું જ રહે છે . સત્ય તો બહાનું છે . શોધ આનંદ છે . “મારું સત્ય” મારી શોધ છે .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
7} કવિતાની સાક્ષીએ સત્ય – ચિનુ મોદી
બહુ વરસો પહેલા એક લાંબી કવિતા લખેલી . એની પહેલી પંક્તિઓ હતી :
કહી ગયા છે ઓચ્છવલાલ
જે નર નારી ખાય બગાસું
એના મુખમાં આવી પડશે એક પતાસું .
આ ઓચ્છવલાલને ન ઓળખ્યા ? આપના પદ્મશ્રી કવિ સિતાંશુનાં મગનના કઝીન , લાભશંકર ઠાકરના લઘરાનો માસીયાઈ ભાઈ , રમેશ પારેખના આલા ખાચરનો પૂર્વજ . મતલબ કે હું ! નાયક ચિનુ મોદી તો વી-નાયક ઓચ્છવલાલ . મારો ઓલ્ટર ઈગો .
તો સત્ય શબ્દ દ્વારા , ખાસ ગઝલના શેરમાં :
સત્યનો સંગ્રામ છે , રામ સામે રામ છે .
મારી નવલકથા ‘ કાળો અંગ્રેજ ‘માં મેં સત્યને ‘ સાકરની એક કટકી ‘ કહી છે અને એનું ગીત છે , જેનું મુખડું આમ છે .
ખીસ્કોલા નાં ટોળા વચ્ચે , ધૂળને ઢગલે ,
વણચાખેલી પડી રહી છે , સાકરની એક કટકી રે ;
રણની વચ્ચે ફંગોળાઈ , હડસેલાઈ , હિલ્લોળા લે ,
હિલ્લોળા લે એક નદી , તે વાત સદાયે ખટકી રે – સાકરની એક કટકી રે .
સત્યને આપણે સાકરની કટકી કહીએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણને તો વારસામાં ડાયાબીટીસ મળેલો છે !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
8} સત્યની શરૂઆત એ જીવનનો અંત છે – જય વસાવડા
જુના ધર્મગ્રંથો પછી આ શબ્દની ‘બ્રાંડ’ બનાવી દેનાર ગાંધીજીને સરવાળે ન સત્ય સાંપડ્યું , ન સ્વપ્ન સિદ્ધિ , ન સુખ . મહાત્માજી મૃત્યુ પર્યંત મંતવ્યને સત્ય સ્થાપિત કરતા રહ્યા , પણ કમસે કમ સત્યની વ્યાખ્યા બાબતે એ જડ નહોતા , એ મોકળાશ માટે એમને સલામ . એમના પછી એટલો સત્યનિષ્ઠ નાગરિક જાહેરજીવનમાં જોવો મુશ્કેલ છે . સત્ય એટલે સનાતન જીવનમુલ્યો વાળી વ્યાખ્યા હવે ઘસાઈ ચુકી છે . સત્ય એટલે વ્યક્તિગત અનુભવો , આદતો અને આસપાસના સંબંધો , વાતાવરણ , સંદર્ભોમાંથી ઘડાતી માન્યતાઓ – એ કદાચ વધુ વાસ્તવિક છે , પણ એ ય સત્ય છે કે ભ્રમ ? આપણે જીવીએ , જાણીએ , અનુભવીએ છીએ એ જ સત્ય છે કે એ માયા છે અને સત્ય એને પેલે પાર છે ?
Any way , મારું સત્ય આવા તત્વ જ્ઞાનમાંથી મને કદી જડ્યું નથી . આવી ઉપદેશાત્મક ફિલસૂફીમાંથી મને કંટાળો જ આવ્યો છે . મારી સત્યની વ્યાખ્યાનું ઘડતર કોઈ ચિંતન કે ધર્મના ગ્રંથોને બદલે મજાની વૈશ્વિક બાળ વાર્તાઓથી થયું છે . મમ્મી પપ્પા પાસે ઘરે ભણ્યાની ગહેરી અસર તરીકે એ ઘડાઈ અને વધતા જતા ફિલ્મો , સાહિત્ય , માનવસંબંધોના સંપર્કથી ઘૂંટાઈ પણ ખરી . જાણીને કોઈનું પણ કરવા તો શું ઈચ્છવાની પણ વિરુદ્ધ એવી સિધ્ધાંતનિષ્ઠ માનસિકતા મજબુત બની .
‘ ખોટા શબ્દો ચાલે , પણ કોઈનેય છેતરવાના ખોટા ઈરાદા ન ચાલે ‘ની દ્રઢ વૃતિને લીધે મને ફાયદા કરતા હંમેશા નુકશાન વધુ થયું છે . અને જેવું છે તેવું – મારું એ સત્ય મારાથી છૂટતું નથી . એ છે : પારદર્શકતા . . . કહો કે દંભ મુક્તિ . એમાં ‘ કાણાને કાણો ‘ કહેવાની તોછડાઈ પ્રયત્નપૂર્વક દુર રાખી છે , પણ અંતરત્માની અદાલતને હર પળ , હર હંમેશ મોજુદ રાખી છે .
પારદર્શકતાનાં અંગત સત્યની સાથે જીવનને જાણવા-માણવા માટે વિસ્મય, પ્રેમ, આનંદને સત્યરૂપે સ્વીકાર્યા છે . અંતે તો બધી જ ક્રિયાઓની સુખાનુભૂતિ આ ત્રીવેણીમાં જ સમાયેલી છે . આ છે તો જીંદગી છે અને પછી પ્રગટે છે પ્રકૃતિનું સત્ય – જેમાં મારા-તમારા તમામ સત્યો અને એના શબ્દો ઓગળી જાય છે . જેનું નામ છે : “મૃત્યુ” . કદાચ સત્યની શરૂઆત એ જીવનનો અંત છે !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
બધાનો હોઈ શકે છે સત્યનો વિકલ્પ નથી ,
ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી .મનોજ ખંડેરિયા
Awakened to the meaning of my heart
That to feel love & oneness is to live
and this the magic of our golden change
is all the truth i know or seek , O sage . Shri Aurobindo
મારા હૃદયનો અર્થ મારામાં જાગ્રત થયો ત્યારથી મને જ્ઞાન થયું છે કે પ્રેમ અને એકતાનો અનુભવ કરવો એ જ જીવન છે , આપણા સુવર્ણમય રૂપાંતરનું એ જાદુ છે . એટલામાં , હે ઋષિ! હું જાણું કે શોધું છું તે બધું સત્ય સમાઈ જાય છે . શ્રી અરવિંદ .
में सच कहूँगी फिर भी हार जाउंगी
वो जूठ बोलेगा और लाजवाब कर देगा परवीन शाकिर
M.D.Gandhi, U.S.A. said:
બહુ ઉત્તમ શ્રેણી શરુ કરી છે….બહુ સરસ…ગમ્યું….
M.D.Gandhi, U.S.A.
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Always Welcome , with a Dilated Smile 🙂
LikeLike
yuvrajjadeja said:
લેખિકા બહેને કહેલી ઝેન કથા સારી છે , મેં તો પહેલી વાર વાંચી !
-કુન્દનિકા બેન પ્રત્યેનું માન જયારે જયારે તેમને વાંચું ત્યારે ત્યારેખુબ વધતું જાય છે . પુરુષપ્રધાન સમાજનો સાચા અર્થમાં વિરોધ તેઓ એ કર્યો છે અને ઘણી બધી સ્ત્રીઓ ના જીવનમાં તેમના લખાણથી પરિવર્તન આવતું હશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે
-બક્ષી સાહેબની વાત સાંભળીને બોલાઈ ગયું “વાહ , શું વાત છે ! ” જેમ મહેંદી હસનનો કોઈ શેર સાંભળીને ના બોલાઈ જાય …..એવી જ રીતે ….!
– છેલ્લે લટકામાં નીરવભાઈ એ એમનું સત્ય લખ્યું હોત તો ? હજી બીજા બે ભાગ છે ને ! વિચારી જોજો !
LikeLike
નિરવ ની નજરે . . ! said:
1} કાજલ ઓઝા અને કુન્દનિકાબેન જયારે જયારે બોલે છે કે લખે છે ત્યારે ત્યારે કાન કે આંખ માત્ર તેમના જ બની જાય છે . . . Two Magnificent Ladies { શ્રી વર્ષા પાઠકને પણ વાંચશો , તેઓ પણ સારા કાન ખેંચે છે !} અને કાજલ ઓઝાનું વકતવ્ય તો તમે હમણા જ ગયેલા અસ્મિતા પર્વ દરમ્યાન સાંભળેલું જ હશે , ન સાંભળ્યું હોય તો કદાચ તમને તે રીડગુજરાતી પર મળી જશે .
2} અને બક્ષી તો માત્ર એક જ હતા , No Sequel is coming after him .
3} હજી મારા સત્ય વિષે મંથન કરવા માટે તો હું નાનું બાળક કહેવાઉં , પણ છેલ્લા ભાગમાં કૈક ઉલાળીયાં કરવાની હિંમત કરી લઈશ , અને તમને બધાયને પણ ભેગો લેતો જઈશ 😉
LikeLike
pragnaju said:
એકવાર વાંચ્યું
ખૂબ ગમ્યું
ઘણી વાતોનું સત્ય સમજવા વારંવાર મંથન કરવું પડશે.
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હા , પ્રજ્ઞાજુમેમ , સત્યને તો વલોવવું જ રહ્યું તો જ તેનું આખરી મંથન રૂપી “નવનીત” પ્રાપ્ત થશે 🙂
LikeLike
જીવન કલા વિકાસ said:
આ દિલ ને તો ગમી જ ગયું યાર..
LikeLike
નિરવ ની નજરે . . ! said:
ચાલો એક યાર તરફથી વધુ એક સત્ય મળ્યું 🙂
જય સ્વામીનારાયણ ; મિત્ર .
LikeLike
જીવન કલા વિકાસ said:
jay swaminarayan
LikeLike
soumyav said:
i read only the lines by Sri aurobindo in the last! it was wht I liked and revered!
LikeLike
નિરવ ની નજરે . . ! said:
first of all , Despite you know a little Gujarati , you always pay a visit to my world . . that makes me very Delightful 🙂
Yes , this post is written as a Book Introduction , where the Very well known Gujarati Personalities talk of their respective Truths , Tendency , Belief , Attitude . . What Life has taught them . . & ‘The way’ , they have Chosen . . . as a Book titled ” My Truth ”
& at last , at the end of each post , i put ” Lataka ma ” , i.e ‘ In addition ‘ . . so there iv’e quoted that Well said by Shri Aurobindo 🙂
LikeLike
soumyav said:
I could get that ,but good effort you to write about them!
LikeLike
નિરવ ની નજરે . . ! said:
🙂 🙂
LikeLike
jagdish48 said:
ભઈ ! મને તો ફક્ત ગાંધીબાપુ જ ગમ્યા !
અને વગર પુછે મારું સત્ય લખી નાખું ?
‘હું મારી જાતને જેવો છું તેવો સ્વીકારી શકું’
LikeLike
નિરવ ની નજરે . . ! said:
કેમ ફક્ત ગાંધીબાપુ જ ગમ્યા ? ફોડ પાડીને કહો તો કઈક ખબર પડે .
અને જગદીશ સર આપણે તો ના છુટકે આપણે જેવા છીએ તેવા સ્વીકારે જ છૂટકો 🙂 . . આપણાથી બચીને જવાના પણ ક્યા ! . . આપણે તો આપણી સાથે રહેવા ટેવાવું જ પડે 😉
LikeLike
jagdish48 said:
મજાક મજાકમાં ગંભીર જવાબ આપવાનું કાઠું છે. પણ નિર્દોશ બાળકની વાત સ્વયં સ્પષ્ટ છે. સત્યને પારદર્શિતા સાથે સીધો સંબંધ છે. પારદર્શિતા સુક્ષ્મતાથી જ આવી શકે. સુક્ષ્મતાનો અહેસાસ થઈ શકે, વર્ણન નહીં. ઘન પદાર્થના અણુઓ (દા.ત. બરફ) દુર દુર થતા જાય, ત્યારે પ્રવાહી બને (પાણી) અને પારદર્શક બને, પણ અસ્તિત્વ તો નોંધાવે જ. હજુ વધુ છુટા પડે તો વરાળ બને, અને વધારે છુટા પડતા હવામાં પોતાના અસ્તિત્વને વીલીન કરી દે જેનો ફક્ત અહેસાસ જ થાય. આપણે જાતને ઓળખીએ છીએ તે ભ્રમ છે. જો ઓળખી શકીએ તો આપણે પણ સત્યને પામી શકીએ, વીલીન થઈ જઈએ.રજકણની નીચે હોઈએ પણ દેખાઈએ નહી.
આપણે જાતને ઓળખતા નથી, તેથી જ આવું બધું લખી લખીને ‘સ્વ’ સાબીત કરવા પ્રયત્ન કરીએ છીએ, સ્વને પામ્યા પછી કશું જ નથી, રહે છે ફક્ત આકાશ !
LikeLike
નિરવ ની નજરે . . ! said:
સત્યને પામ્યા બાદ કશું જ કહેવાનું રહેતું નથી , એ વાત સાચી પણ . . . . . જો કોઈ કશું વર્ણન જ નહિ કરે તો તેની સત્યની એ યાત્રા માત્ર તેના જ પુરતી મર્યાદિત રહી જશે ! અને જો આપણે આપણા કાચા તો કાચા . . . અધૂરા તો અધૂરા . . .અનુભવોને નહિ વહેંચીએ તો તે મોટો અપરાધ ગણાશે . . .
ક્યારેક આવા જ અપૂર્ણ કે સંપૂર્ણ શબ્દો લખીને કે વહેંચીને ક્યારેક આપણે જાણે અજાણે બીજાને રાહ ચીંધી દેતા હોઈએ છીએ અને સરવાળે આપણને મળે કે ન મળે કોઈ બીજો વ્યક્તિ એક ડગલું આગળ જરૂર વધી શકે છે 🙂
LikeLike
jagdish48 said:
આપણા અનુભવો વહેંચીએ, ટીકાઓ નહી !
વધુ મારી આજની પોસ્ટમાં ……
LikeLike
નિરવ ની નજરે . . ! said:
એ હાલો , ત્યારે જગદીશસરના બ્લોગમાં . . ત્યાં વાતું કરીશું 🙂
LikeLike
પિંગબેક: નિરવે પુછ્યું ? – સત્ય « BestBonding – in Relationship
nabhakashdeep said:
સત્ય એટલે જ્ઞાન દીપકનું અજવાળું …સદા લાભવંતું. માનવીની પ્રબુધ્ધતા એ યુગયુગનું અજવાળું.
સૌની વાતો માણી ને ગમી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હા , રમેશ સર . . સત્ય એટલે માણસનું જાગી જવું , એ એક એવું અજવાળું છે કે જે અંદરથી સ્વયંભુ પ્રકાશે છે 🙂
ઘણા સમય બાદ , આપનું આગમન ગમી ગયું 🙂
LikeLike